Saturday, July 7, 2012

નરસિંહ મહેતા ના ભજન 2


જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ... જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા, રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું' , એને સમર્યાંથી કૈં સંત સીધ્યા ... જાગીને


જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; 
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત 
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત
નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; 
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત 
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત
ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, 
મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત  


સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; 
 જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત 

No comments:

Post a Comment