Wednesday, May 23, 2012

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 2


યુધિષ્ઠિર : સંતો માર્ગદર્શક દિશા છે. આકાશને જળ કહ્યું છે. ગાય અન્ન ગણાય છે. યાચના વિષ છે અને શ્રાદ્ધનો કાળ બ્રાહ્મણ છે. અથવા હે યક્ષ, તમે શું માનો છો ?
યક્ષ : તપનું લક્ષણ શું ? દમ કોને કહ્યો છે ? ઉત્તમ ક્ષમા કયી છે ? કોને લજ્જા કહી છે ?
યુધિષ્ઠિર : સ્વધર્મનું વર્તન તપનું લક્ષણ કહ્યું છે. મનના દમનને દમ કહ્યો છે. સુખદુઃખાદિ દ્વન્દ્વોને સહન કરવા એને ઉત્તમ ક્ષમા કહી છે. અકાર્યથી અટકવું એને લજ્જા કહી છે.
યક્ષ : કોને જ્ઞાન કહ્યું છે ? શાને શમ કહ્યો છે ? શાને પરમદયા કહી છે ? અને શાને આર્જવ કહ્યું છે?
યુધિષ્ઠિર : તત્વાર્થનો સારી રીતે બોધ એને જ્ઞાન કહ્યું છે. ચિત્તની પ્રશાંતતાને શમ કહ્યો છે. ભૂતમાત્રના સુખની ઇચ્છાને પરમ દયા કહી છે. ચિત્તની સમતાને આર્જવ કહ્યું છે.
યક્ષ : મનુષ્યને કયો શત્રુ દુર્જય છે ? કયો વ્યાધિ અંતકારી છે ? કોને સાધુ કહ્યો છે ? કોને અસાધુ ગણ્યો છે ?
યુધિષ્ઠિર : મનુષ્યને માટે ક્રોધ દુર્જય શત્રુ છે લોભ અંતકારી વ્યાધિ છે. પ્રાણીમાત્રના હિતમાં રહેનારને સાધુ કહ્યો છે. અને નિર્દય પુરુષને અસાધુ ગણ્યો છે.
યક્ષ : કોને મોહ કહ્યો છે ? કોને માન કહ્યું છે ? કોને આળસ કહેવાય ? અને કોને શોક કહ્યો છે ?
યુધિષ્ઠિર : ધર્મ વિશેના અજ્ઞાનને મોહ કહ્યો છે. આત્માભિમાનને માન કહ્યું છે. ધર્મમાં નિષ્ક્રિય રહેવું એને જ આળસ કહે છે. અજ્ઞાનને શોક સમજે છે.
યક્ષ : ઋષિઓએ શાને સ્થૈર્ય કહ્યું છે ? ધૈર્ય કહ્યું છે ? ઉત્તમ સ્નાન કયું કહ્યું છે ? કોને લોકમાં દાન કહે છે ?
યુધિષ્ઠિર : સ્વધર્મમાં સ્થિરતાને ઋષિઓએ સ્થૈર્ય કહ્યું છે ઇન્દ્રિયનિગ્રહને ધૈર્ય કહ્યું છે. મનના મેલના ત્યાગને ઉત્તમ સ્નાન કહ્યું છે અને પ્રાણીમાત્રના રક્ષણને આ લોકમાં દાન કહે છે.
યક્ષ : કયા પુરુષને પંડિત જાણવો ? કોને નાસ્તિક કહે છે ? મૂર્ખ કોણ છે ? કામ શું છે ? અને મત્સર કોને કહ્યો છે ?
યુધિષ્ઠિર : ધર્મવેત્તા પુરુષને પંડિત જાણવો. મૂર્ખને નાસ્તિક કહે છે. સંસારની વાસના કામ છે અને હૃદયના તાપને મત્સર કહ્યો છે.
યક્ષ : કોને અહંકાર કહ્યો છે ? દંભ કોને કહ્યો છે ? કોને પરમ દૈવ કહ્યું છે ? અને કોને પિશુનતા કહે છે ?
યુધિષ્ઠિર : અત્યંત અજ્ઞાનને અહંકાર કહ્યો છે. યશની ધજા ફરકાવવા કરેલા ધર્મને દંભ કહ્યો છે. દાનના ફળને પરમદૈવ કહ્યું છે. અને પારકાને દૂષણ આપવું એને પિશુનતા કહે છે.
યક્ષ : ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરોધી છે તો એ નિત્ય વિરોધીઓનો કેવી રીતે સંગમ થાય ?
યુધિષ્ઠિર : જ્યારે ધર્મ અને ભાર્યા બન્ને પરસ્પર અનુકૂળ રહીને વર્તે છે. ત્યારે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનો એકત્ર સમાગમ થાય છે.
યક્ષ : હે ભરતોત્તમ ! શાથી અક્ષય નરક મળે છે ?
યુધિષ્ઠિર : જે પુરુષ યાચના કરનારા અકિંચન માનવને બોલાવીને પછી 'નથી' એમ કહે છે તે અક્ષય નરકમાં જાય છે. જે પુરુષ વેદો, ધર્મશાસ્ત્રો, બ્રાહ્મણો, દેવો અને પિતૃધર્મો સંબંધમાં મિથ્યા વર્તન રાખે છે તે અક્ષય નરકને પામે છે. જે મનુષ્ય પાસે ધન હોવાં છતાં લોભને લીધે તેનું દાન કરતો નથી, તેમ તેનો ઉપભોગ કરતો નથી અને જો કોઇને નિમંત્રણ આપ્યા પછી તેનો 'નથી' એમ કહે છે તે અક્ષય નરકનો વાસી થાય છે.
યક્ષ : કુળ, ચારિત્ર્ય, સ્વાધ્યાય અને વિદ્યા એમાંથી શા વડે બ્રાહ્મણત્વ મળે છે ?
યુધિષ્ઠિર : હે યક્ષ ! સાંભળ. બ્રાહ્મણત્વમાં કુળ, સ્વાધ્યાય કે વિદ્યા કારણરૂપ નથી, ચારિત્ર્ય જ નિસંશય કારણરૂપ છે. આથી બ્રાહ્મણે ચારિત્ર્યનું જ યત્નપૂર્વક રક્ષણ કરવું જોઇએ. જ્યાં સુધી તે ચારિત્ર્યભ્રષ્ટ થતો નથી ત્યાં સુધી હીન થતો નથી. પણ જ્યાં તે ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય ત્યાં મૃતઃપાય બની જાય છે. અધ્યયન કરનારાઓ, અધ્યયન કરાવનારાઓ અને બીજા શાસ્ત્રવિચારકો એ સર્વે વ્યસનોને અધીન અજ્ઞાની છે. માત્ર જે ક્રિયાવાન શાસ્ત્રસંમત આચરણવાળો છે તે જ પંડિત છે. ચારે વેદોનું અધ્યયન કરનારો હોવા છતાં જો કોઇ દુરાચારી હોય તો તે શૂદ્ર કરતાં પણ નીચો છે. જે અગ્નિહોત્રપરાયણ અને જિતેન્દ્રિય છે તે જ બ્રાહ્મણ કહેવાય છે.
યક્ષ : પ્રિય વચન બોલનારાને શું મળે છે ? વિચારીને કાર્ય કરનારને શું મળે છે ? અનેક મિત્રો કરનારાને શું મળે છે ? અને ધર્મમાં રહેનારને શું મળે છે ?
યુધિષ્ઠિર : પ્રિય વચન બોલનારને સર્વની પ્રિયતા મળે છે. વિચારીને કાર્ય કરનારાને અધિકાધિક વિજય મળે છે. અનેક મિત્રો કરનારાને સુખવાસ મળે છે. અને ધર્મમાં રત રહેનારને ઉત્તમ ગતિ મળે છે.
યક્ષ : કોણ આનંદથી રહે છે ? આશ્ચર્ય શું છે ? માર્ગ કયો છે ? વાર્તા કઇ છે ? મારા આ ચાર પ્રશ્નોના ઉત્તર આપ; એટલે તારા ભાઇઓ સજીવન થશે.
યુધિષ્ઠિર : જે મનુષ્ય દેવાથી રહિત છે, જેને પ્રવાસે જવું પડતું નથી, અને જે દિવસના પાંચમા કે છઠ્ઠા ભાગે પોતાના જ ઘરમાં ભાજીપાલો રાંધીને ખાય છે, તે મનુષ્ય આનંદ કરે છે. આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે. છતાં બાકીના મનુષ્યો પોતાને અવિનાશી માને છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? તર્કથી નિર્ણય થતો નથી. શ્રુતિઓ ભિન્ન અર્થવાળી છે. તેના વ્યાખ્યાતા ઋષિ એક નથી કે જેના મતને પ્રમાણ મનાય અને ધર્મનું તત્વ ગુહામાં રાખેલું છે. અર્થાત્ ગૂઢ છે. આથી જે માર્ગે મહાજન જાય તે જ સામાન્ય જનોનો માર્ગ છે. આ મહાન મોહભરી કઢાઇમાં કાળ પોતે સૂર્યરૂપી અગ્નિથી ચેતાવેલાં રાત્રિ અને દિવસરૂપી ઇંધન વડે માંસ અને ઋતુરૂપી કડછીથી પ્રાણીઓને ઉપર નીચે કરીને જે રાંધે છે એને જ વાર્તા કહેવામાં આવે છે.
યક્ષ : તેં મારા પૂછેલા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા છે. હવે તું પુરુષની વ્યાખ્યા કર અને કહે કે કયો પુરુષ સર્વ સંપત્તિમાન છે ?
યુધિષ્ઠિર : પુણ્યકર્મ વડે મનુષ્યનો કીર્તિઘોષ સ્વર્ગ અને પૃથ્વીને સ્પર્શે છે. જ્યાં સુધી તેનો કીર્તિઘોષ રહે છે ત્યાં સુધી તે પુરુષ કહેવાય છે. જે નર પ્રિય અને અપ્રિય વિશે, સુખ અને દુઃખ વિશે, તેમજ ભૂત અને ભાવિને વિશે એક સમાન છે, તે પુરુષ સર્વસંપત્તિવાન કહેવાય છે.
યુધિષ્ઠિરને પૂછવાના યક્ષના પ્રશ્નો એવી રીતે પૂરા થયા.

યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 1


યક્ષ :  આદિત્યને કોણ ઉદિત કરે છે ? એના આસપાસ કોણ છે ? એને કોણ અસ્ત પમાડે છે ? એ શામાં પ્રતિષ્ઠિત રહે છે ?
યુધિષ્ઠિર : આદિત્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે. દેવો તેના સહાયકર્તા સાથીઓ છે. ધર્મ તેને અસ્ત પમાડે છે. અને સત્યના આધારે તે પ્રતિષ્ઠિત રહે છે.
યક્ષ : શાનાથી મનુષ્ય શ્રોત્રિય થાય છે ? શાનાથી તેને મહત્પ્રાપ્તિ થાય છે ? શાથી તે સહાયવાન થાય છે ? અને શાથી તે બુદ્ધિમાન બને છે ?
યુધિષ્ઠિર : વેદાધ્યાનથી મનુષ્ય શ્રોત્રિય થાય છે; તપથી તેને મહત્પ્રાપ્તિ થાય છે; ધૃતિથી તે સહાયવાન થાય છે અને વૃદ્ધોની સેવાથી બુદ્ધિમાન બને છે.
યક્ષ : બ્રાહ્મણોનું દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ શો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : વેદોનો સ્વાધ્યાય એ બ્રહ્મણોનું દેવત્વ છે. તપસ્યા તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. મરણ તેમનામાં મનુષ્યભાવ છે, અને નિંદા તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : ક્ષત્રિયોમાં દેવત્વ શું છે ? તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ કયો છે ? તેમનામાં મનુષ્યભાવ શો છે ? અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર : બાણ અને અસ્ત્રોનું ધારણ એ ક્ષત્રિયોમાં દેવત્વ છે. યજ્ઞ એ તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ છે. ભય તેમનામાં મનુષ્યભાવ છે અને શરણાગતનો ત્યાગ કરવો એ તેમનામાં દુર્જનોના જેવું આચરણ છે.
યક્ષ : આવપન (વાવણી) કરનારાઓને શી વસ્તુ શ્રેષ્ઠ છે ? નિવાપન (રોપણી) કરનારાઓને શી વસ્તુ ઉત્તમ છે ? પ્રતચિષ્ઠા ઇચ્છનારાઓને કઇ વસ્તુ શ્રેષ્ઠ છે ? અને પ્રજોત્પાદન કરનારાઓને કંઇ વસ્તુ ઉત્તમ છે ?
યુધિષ્ઠિર : આવપન કરનારાઓને વૃષ્ટિ શ્રેષ્ઠ છે; નિવાપન કરનારાઓને પુત્ર ઉત્તમ છે; પ્રતિષ્ઠા ઇચ્છનારાઓને ગાયો શ્રેષ્ઠ છે; અને પ્રજોત્પાદન કરનારાઓને પુત્ર ઉત્તમ છે.
યક્ષ : ઇન્દ્રિયોના વિષયોને અનુભવતો, બુદ્ધિમાન લોકથી પૂજાયેલો અને સર્વ પ્રાણીઓમાં માન પામેલો એવો કયો મનુષ્ય જીવતો છતાં મરેલો છે ?
યુધિષ્ઠિર : જે મનુષ્ય દેવ, અતિથિ, પોષ્યવર્ગ, પિતૃઓ અને પોતાનો પંડ એ પાંચને કાંઇ જ આપતો નથી તે જીવતો છતાં મરેલો છે.
યક્ષ : કોણ પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે ? કોણ આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે ? કોણ વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે ? કોણ તરણા કરતાં પણ વધારે તુચ્છ છે ?
યુધિષ્ઠિર : માતા પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે. પિતા આકાશ કરતાં પણ વધારે ઉચ્ચ છે મન વાયુ કરતાં પણ વિશેષ શીઘ્ર છે. ચિંતા તરણા કરતાં પણ વધારે તુચ્છ છે.
યક્ષ : સૂતા છતાં પણ કોણ આંખ મીંચતું નથી ? જન્મ્યા પછી કોણ હલનચલન કરતું નથી ? કોને હૃદય હોતું નથી ? અને કોણ વેગથી વૃદ્ધિ પામે છે ?
યુધિષ્ઠિર : માછલા સૂતા છતાં પણ આંખ મીંચતાં નથી. ઇંડુ જન્મ્યા છતાં પણ ચાલતું નથી. પથ્થરને હૃદય હોતું નથી. નદી વેગથી વૃદ્ધિ પામે છે.
યક્ષઃ પ્રવાસે નીકળેલાનો મિત્ર કોણ ? ઘરમાં વસેલાનો મિત્ર કોણ ? રોગીનો મિત્ર કોણ ? અને મરણની તૈયારીવાળાનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિર : વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે. ભાર્યા ઘરમાં વસેલાનો મિત્ર છે. વૈદ્ય રોગીનો મિત્ર છે અને દાન મરણની તૈયારીવાળાનો મિત્ર છે.
યક્ષ : ભૂતમાત્રનો અતિથિ કોણ છે ? સનાતન ધર્મ કયો છે ? અમૃત શું છે ? અને આ સર્વ જગત શું છે ?
યુધિષ્ઠિર : અગ્નિ ભૂતમાત્રનો અતિથિ છે. મોક્ષધર્મ સનાતન ધર્મ છે. ગાયનું દૂધ અમૃત છે. વાયુ સર્વ જગત છે.
યક્ષ : કોણ એકલો વિચરે છે ? કોણ જન્મીને પાછો જન્મે છે ? ટાઢનું ઓસડ શું છે ? અને મહાન ભંડાર કયો છે ?
યુધિષ્ઠિર : સૂર્ય એકલો વિચરે છે. ચંદ્રમા જન્મીને પાછો જન્મે છે, અગ્નિ ટાઢનું ઓસડ છે અને ભૂમિ મહાન ભંડાર છે.
યક્ષ : ધર્મનું સ્થાન કયું છે ? યશનું મુખ્ય સ્થાન શું છે ? સ્વર્ગનું મુખ્ય સ્થાન શું છે ? અને સુખનું મુખ્ય સ્થાન શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધર્મનું મુખ્ય સ્થાન છે. દાન યશનું મુખ્ય સ્થાન છે. સત્ય સ્વર્ગનું મુખ્ય સ્થાન છે. અને શીલ સુખનું મુખ્ય સ્થાન છે.
યક્ષ : મનુષ્યનો આત્મા કોણ છે ? તેનો દેવથી પ્રાપ્ત થયેલો મિત્ર કોણ છે ? તેનું જીવનસાધન શું છે ? તેનો પરમ આશ્રય શો છે ?
યુધિષ્ઠિર : પુત્ર મનુષ્યનો આત્મા છે. ભાર્યા તેનો દૈવકૃત મિત્ર છે. મેઘ તેનું જીવનસાધન છે. દાન તેનો પરમ આશ્રય છે.
યક્ષ : ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું છે ? ધનોમાં ઉત્તમ ધન કયું છે ? લાભોમાં ઉત્તમ લાભ કયો છે ? અને સુખોમાં ઉત્તમ સુખ શું છે ?
યુધિષ્ઠિર : દક્ષતા ધનપ્રાપ્તિમાં ઉત્તમ સાધન છે. વિદ્યા ધનોમાં ઉત્તમ ધન છે. આરોગ્ય લાભોમાં ઉત્તમ લાભ છે. સંતોષ સુખોમાં ઉત્તમ સુખ છે.
યક્ષ : આ લોકમાં પરમ ધર્મ કયો છે ? સદા ફલદાયી ધર્મ કયો છે ? શો નિયમ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી ? અને કોની સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી ?
યુધિષ્ઠિર : પ્રાણી માત્રને અભયદાન એ લોકમાં પરમધર્મ છે. ત્રયીધર્મી (વેદોક્તધર્મ) સદા ફલદાયી ધર્મ છે. મનોનિગ્રહ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી અને સત્પુરુષો સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી.
યક્ષ : શું ત્યાગવાથી મનુષ્ય પ્રિય થાય છે ? શું ત્યાગવાથી તેને શોક કરવો રહેતો નથી ? શું ત્યાગવાથી તે ધનવાન થાય છે ? અને શું ત્યાગવાથી સુખી બને છે ?
યુધિષ્ઠિર : માનને તજવાથી મનુષ્ય પ્રિય થાય છે. ક્રોધને તજવાથી તેને શોક કરવો રહેતો નથી. કામને તજવાથી તે ધનવાન થાય છે. લોભને તજવાથી સુખી બને છે.
યક્ષ : શા માટે બ્રાહ્મણને દાન આપવું ? શા કાજે નટ-નર્તકોને ધન આપવું ? શા માટે સેવકાદિને દ્રવ્ય આપવું ? શા કાજે રાજાઓને કર આપવા ?
યુધિષ્ઠિર : ધર્મને કાજે બ્રાહ્મણને દાન આપવું. યશને કાજે નટ-નર્તકોને ધન આપવું. ભરણપોષણને માટે સેવકાદિને દ્રવ્ય આપવું. ભયને માટે રાજાઓને કર આપવા.
યક્ષ : આ લોક શાથી ઢંકાયેલો છે, શાથી તે પ્રકાશતો નથી ? શા કારણે તે મિત્રોનો ત્યાગ કરે છે ? અને શા કારણે તે સ્વર્ગે જતો નથી ?
યુધિષ્ઠિર : અજ્ઞાનથી આ લોક ઢંકાયેલો છે. તમોગુણથી તે પ્રકાશતો નથી. લોભના કારણથી તે મિત્રોને ત્યજે છે. સંગને કારણે તે સ્વર્ગે જતો નથી.
યક્ષ : કયો પુરુષ મરેલો ગણાય ? કયું રાષ્ટ્ર મરેલું ગણાય ? કયું શ્રાદ્ધ મરેલું ગણાય ? અને કયો યજ્ઞ મરેલો કહેવાય ?
યુધિષ્ઠિર : દરિદ્ર પુરુષ મરેલો ગણાય. અરાજક રાષ્ટ્ર મરેલું ગણાય. વેદવેત્તા બ્રાહ્મણ વિનાનું શ્રાદ્ધ મરેલું ગણાય. દક્ષિણા વિનાનો યજ્ઞ મરેલો મનાય.
યક્ષ : દિશા કઇ છે ? જળ શાને કહ્યું છે ? અન્ન શું છે ? શ્રાદ્ધનો કાળ કયો ? આ પ્રશ્નોના ઉત્તર આપ અને પછી પાણી પી તથા લઇ જા.

Tuesday, May 22, 2012

વીર હમીરજી - સોમનાથની સખાતે’


અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા : દુદાજી, અરજણજી અને હમીરજી, અરઠીલા  લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીનાં 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા.
એક દિવસ બે કૂકડાઓ વચ્ચેની લડાઈમાં અરજણજી અને હમીરજી વચ્ચે અંટસ પડી. હમીરજી તેમના 200 રાજપૂત સાથે મારવાડ ચાલ્યા ગયા.
દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું શાસન હતું. એણે ઝફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો. ઝફરખાન મૂર્તિપૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિંદુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી.
એક તોફાનમાં ઝફરખાનનો ખાસ સાથી રસૂલખાન હિન્દુઓના હાથે હણાયો. આ ખબર ઝફરખાનને મળતાં તે કાળઝાળ થઈ ઊઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠ્યા. આમ ઝફરખાન સોરઠ પર ચડ્યો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે. ભેંકાર તોપું ઢસડાતી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને ઝફરખાન સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.
સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અરજણજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલ્યો હતો. અરજણજી વિરહમાં ખૂબ જ દુ:ખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા. તેમણે પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂત ઘોડેસવારો સાથે ગઢાળીનો મારગ પકડ્યો.
હમીરજી પોતાના મિત્રો સાથે તેમના મોટાભાઈને ત્યાં અરઠીલામાં દિવસો પસાર કરતા હતા. ઝફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નહોતી. એક દિવસ જમવાની ઉતાવળ કરતાં હમીરજીને એમની ભાભીએ કહ્યું, ‘દિયરજી, આટલી બધી ઉતાવળ કાં કરો? ઝટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે?’
આ સાંભળીને હમીરજીએ પૂછ્યું કે, ‘કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે?’
ભાભીએ જવાબ આપ્યો, ‘પાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સૂબાની ફોજ સોમનાથના માર્ગે છે.’
ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ‘ભાભી, શું વાત કરો છો? કોઈ રાજપૂતજાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી? મહાદેવ પર રાજપૂતોના દેખતાં વિધર્મીઓની ફોજ ચડશે? રાજપૂતી મરી પરવારી છે?’
તેમનાં ભાભીએ નિરાશ થઈને કહ્યું કે, ‘રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમૈયાની સખાતે ચડે તેવો મરદ એકેય દેખાતો નથી. અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો. દિયરજી, તમેય કયાં રાજપૂત નથી?’
ભાભી સ્ત્રીસહજ બોલી ગયાં પણ હમીરજીને ઝાળ લાગી ગઈ, મેણું હાડોહાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે, ‘મારા બેય ભાયુંને ઝાઝેરા જુહાર કહેજો. હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું’. અને બસ્સો જેટલા મરજીવા સાગરીતો સાથે હમીરજીએ સોમનાથનો મારગ લીધો.
કલૈયા કુંવર જેવા બસ્સો ભાઈબંધ સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નેસડું આવ્યું. અરધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સૂનકાર વ્યાપેલો હતો, ત્યાં રાતના સૂનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધા ચારણ મરશિયા ગાય છે. આઈનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને નેસમાં જઈને પૂછે છે કે, ‘મા, તમે કોના મરશિયા ગાતાં હતાં?’
આઈએ જવાબ આપ્યો કે, ‘હું રંડવાળ છું બાપ. મારા દીકરાના મરશિયા ગાતી’તી. જુવાનજોધ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલાં મરણ પામેલ છે.’
આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે, ‘મા, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો? મારે સાંભળવા છે.’
તે વૃદ્ધાનું નામ લાખબાઈ હતું તેણે કહ્યું, ‘મોળા બાપ, ઈ શું બોલ્યો? તારા મરશિયા ગાઈને ઈ પાપમાંથી ક્યારે છૂટવું?’
હમીરજીએ કહ્યું, ‘આઈ અમે મરણને મારગે છીએ. સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. ઈ મારગેથી પાછા અવાય એવું નથી’. ત્યારબાદ હમીરજીએ આઈને માંડીને બધી વાત કરી.
આઈ લાખબાઈ પોરસીલા રાજપૂતની જવામર્ંદી ઉપર ઓળઘોળ થઈ ગયાં. અંતરથી આશિષ આપ્યા પછી કહ્યું કે ‘બેટા હમીરજી, તું પરણ્યો છે?’
હમીરજીએ જવાબ આપ્યો કે ‘ના, આઈ’
વૃદ્ધાએ કહ્યું, ‘તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે. કુંવારાને રણમાં અપસરા વરે નહીં’.
‘પણ આઈ, અમને મરવા જનારાને કોણ દીકરી આપે?’ હમીરજીએ શંકા વ્યક્ત કરી.
આઈએ કહ્યું, ‘બાપ, આ રસ્તે તારી શૂરવીરતા પર રાજી થઈને કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ન પાડતો. મારું વેણ પાળજે દીકરા.’ આટલું બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને મારગે ચાલ્યાં.
હમીરજીને કહે, ‘હું તારી પહેલાં સોમનાથ જઈને વાટ જોઈશ.’
લાખબાઈ આગળ ચાલતાં રસ્તામાં દ્રોણ ગઢડા આવ્યું. વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને દોઢ હજાર ભીલયોદ્ધા ભેગા કરી શકતો. વેગડાજીને એક જુવાન દીકરી હતી. તેનું નામ રાજબાઈ. આમ તો રાજબાઈ એક રાજપૂતની દીકરી હતી. એક ધિંગાણામાં વેગડા ભીલે જેઠવા રાજપૂતને ઠાર મારેલો ત્યારે રાજપૂતે વેગડાને એ દીકરી સોંપેલી. વેગડાએ પોતાની દીકરી હોય તેમ તેને ઉછેરી હતી. લાખબાઈ દ્રોણ ગઢડા પહોંચતા વેગડા ભીલે તેમની ડમણી અટકાવી. બે ટંક રોક્યાં. દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું. તેથી લાખબાઈએ કહ્યું કે, ‘બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ. મર્દ રાજપૂત છે.’
બે દી પછી હમીરજી દ્રોણ ગઢડા પહોંચ્યા. વેગડા ભીલે હમીરજી સમક્ષ પોતાની દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
હમીરજીની સંમતિ મળી ગઈ પણ વાત એમ હતી કે તેમની સાથેના બસ્સો જેટલા સાથીઓએ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાનાં નીમ લીધાં હતાં. તેથી ભીલોની કન્યા સાથે તેમનાં પણ લગ્ન ગોઠવવામાં આવ્યાં. આમ ગિરની ભીલપુત્રીઓ સાથે બસ્સો રાજપૂત અને રાજબાઈ સાથે હમીરજીનાં સમૂહલગ્ન ઉજવાણાં. ઢોલ અને શરણાઈ ગહેકી ઊઠ્યાં, મોતને માંડવે પોંખવા જતા યુવકોએ હર્ષોલ્લાથી ગિરને ગાંડી કરી મૂકી.
ગિરના જંગલમાં લગ્ન થયાં ને બીજે જ દિવસે હમીરજીએ સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. રસ્તામાં રાજપૂત કાઠી આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી સોમનાથ પહોંચી ગયા.
ઝફરખાનની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બની ઊભા છે. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોનાં તાતાં તીરોએ બાદશાહી ફોજનાં સામૈયાં કર્યાં. બળુકા હાથમાંથી છૂટતાં બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ્ પોકરાવી રહ્યાં છે. એક બાજુ દેવાલયને તોડવાનું પ્રબળ ઝનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ ટેક છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો  હુકમ  છોડ્યો.
તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઇરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સૂબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતાં બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. વેગડા ભીલ પણ શહીદ થયા. ઝફરખાનના સૈન્યએ સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઊકળતાં તેલ રેડ્યાં. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. ઝફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડાઓ ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ભોંકીને ત્રાહિમામ્ પોકરાવી દીધા. ઝફરખાનનું સૈન્ય હચમચી ગયું. ઝફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી, તેમાં હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આમ યુદ્ધને લગાતાર નવ દિવસ પૂરા થઈ ગયા હતા.
સોમનાથના ગઢની સામે જ નવ-નવ દિવસથી ઝફરખાનના સૈન્યનો સામનો કરતાં કરતાં હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. નવમા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો. આખી રાત કોઈ સૂતું નથી, સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સૂવા ન દીધા. પરોઢીએ નહાઈ ધોઈને હમીરજીએ શંકરની પૂજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતનાં મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સૂનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતાં આઈ બોલ્યાં, ‘ધન્ય છે વીરા તને. સોરઠની મરવા પડેલી મર્દાનગીનું તેં પાણી રાખ્યું’.
દશમા દિવસની સવારમાં સૂરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખૂલ્યા ને હમીરજી અને સાથી યોદ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટક્યા. અચાનક આક્રમણથી ઝફરખાન હેબતાઈ ગયો. એણે સૈન્યને સાબદું કરીને યુદ્ધ શરૂ કર્યું. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાં જ દુશ્મન સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતાં જ હમીરજી જુવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકનાં આંતરડા બહાર નીકળી ગયાં છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથી બચ્યા છે. હમીરજીએ સાથીઓ સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાંનિધ્યમાં લડવું. સવાર પડતાં જ ઝફરખાને સામેથી હુમલો કર્યો. હમીરજી અને સાથીઓ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઊતર્યા.
સાંજ પડતાં યુદ્ધમાં હમીરજી અને એક-બે યોદ્ધા જ બચ્યા હતા અને લડી રહ્યા હતા. હમીરજીનું આખું શરીર વેતરાઈને લીરા જેવું થઈ ગયું છે છતાં દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઇશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ઘેરી લેવામાં આવ્યા. તેમની સામે એકસામટી દશ તલવાર પડી. શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોદ્ધો પણ ઢળી પડ્યો સોમનાથના મંદિર કાજે હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નીરખી રહ્યાં હતાં અને આ શૂરવીર યોદ્ધાને બિરદાવતાં મરશિયો ગાયો  કે,
રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા,
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.
વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં,
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
***
હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંધો સાથે સૂબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે ! ગુજરાતની બહાદુર દીકરીઓ - એક રજપૂતાણી અને બસો ભીલ કન્યાઓએ સુહાગના સિંદૂર સાથે જ દાયજામાં વૈધવ્યનો કાળો સાડલો સ્વીકારીને બતાવેલી વીરતા પણ દાદ માંગે છે.
સોમનાથ મંદિરની બહાર વેગડાજીની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલીંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઊજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો સોમનાથમાં આજેય પૂજાય છે. આજે જ્યારે આ શૂરવીરતાને પોંખતી ઐતિહાસિક ફિલ્મ ‘વીર હમીરજી - સોમનાથની સખાતે’ હમીરજી અને એમનાં ભેરુબંધોની વીરતાને શ્રદ્ધાંજલિ છે.

Saturday, May 19, 2012

Veer Hameerji


VEER HAMEERJI 

Hamirji Gohil of the Lathi State and his friend Vegado Bhil, who were both  killed in a battle near the Somnath temple to save from plunder from Allaudin khilji's commander 

Khusro Khan[hindu], whose original name is not known, was fighting alongside Vegada Bhil and Hamirji Gohil.

Before his death at Somanath, Vegado Bhil ordered Khusro Khan to escape and to take revenge with Alauddin Khilji.

Mokhadaji Gohil of Piram also met Khusro Khan. At that time, Khusro Khan also advised Mokhadaji Gohil to fight against Delhi Sultanate.

Khusro Khan got Allauddin Khilji killed by his friend Jahiriya.

In 1320 Khusro Khan managed to kill Alauddin Khilji’s son, Qutb ud din Mubarak Shah, ending the Khilji dynasty

He captured the throne of Delhi and held it four months

Khusro Khan was a Dalit (Parwari-Mahar) caste from Gujarat

He converted to Islam from Hinduism at the time of his capture.

He was a untouchable in his own religion, but became the first Hindu to sit on the throne of Delhi.

It is clear from the writing of Muslim chroniclers that Khusrau Khan had **converted back to Hinduism**

Takhatsinghji Gohil 'KALAPI'a famous kavi & king born in that suriyanshi family of Hameerji Gohil,guj movie releasing on 25 may vir hameerji
http://www.youtube.com/watch?v=2qgzFwiwNgw&feature=g-hist

http://www.youtube.com/watch?v=2qgzFwiwNgw&feature=g-hist